ઉત્સવપ્રીય વડોદરા શહેરમાં આજે રામ નવમીની ભારે શ્રધ્ધા અને ઉત્સાહના માહોલમાં ઉજવણી કરાશે. આ પર્વ નીમીત્તે સમગ્ર શહેરમાંથી ભગવાન શ્રી રામની કુલ ૨૩ શોભાયાત્રાઓ નીકળશે. જે પૈકીની હરણીમાંથી પ્રસ્થાન થનારી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શોભાયાત્રાના રૂટને પોલીસે મંજુરી આપી ન હતી. પરિણામે શોભાયાત્રાના આયોજકોએ ફતેપુરાના રુટની અરજી આગલી રાતે પાછી ખેંચી હતી અને કારેલીબાગવાળા રુટની નવી અરજી પોલીસમાં જમા કરાવી હતી.
અરજી પોલીસ વિભાગે મંજુર કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીના કાઉન્ટ ડાઉન શરુ થયાં છે. ત્યારે વાતાવરણ ડહોળાય નહિં તે માટે વિશ્વ હિંદુ પરિષદના પ્રદેશ કક્ષાના હોદ્દેદારોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટેલિફોનીક વાર્તાલાપ થયો હતો. જે પ્રમાણે ફતેપુરા ચાર રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનવાળા રુટની અરજી લોકલ અરજદાર દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી.
મેન-મશીન અને ટેક્નોલોજી પ્રૂફ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયું : CP
રામ નવમીની પૂર્વ સંધ્યાકાળે ભૂતડિઝાપા મેદાન ખાતે યોજાયેલા એરિયા ડાઈમેન્શનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મિડિયાને જણાવ્યુ હતુ કે, આવતીકાલે શહેરના વિવિધ વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની કુલ ૨૩ શોભાયાત્રાઓ નીકળવાની છે. ૧૦ સ્થળે ભંડારાના આયોજન કરાયા છે. પોલીસ તરફથી મેન મશીન અને ટેકનોલોજી આધારીત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયુ છે. ઈક્વિપમેન્ટસ, ટુલ્સ અને મોબિલીટીથી પોલીસ તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. શાંતિપૂર્ણ રીતે કોમી એખલાસભયાં વાતાવરણમાં આ પર્વની ઉજવણી કરવાના સંપૂર્ણ પ્રયાસ રહેશે. મ્યુનિ. કોર્પોરેશન, વિદ્યુત કંપની સાથે સંયુક્ત રીતે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૨ જે.સી.પી.ના સુપરવિઝનમાં ૧૧ એ.સી.પી., ૬૦ પી.આઈ.. ૧૪૦ પી.એસ.આઈ. ૨૦૦૦થી વધુ પોલીસ. એસ.આર.પી.ની ૬ કંપની તથા હોમગાર્ડનો ચાંપતો બંદોબસ્ત રહેશે.
જિલ્લામાં બે દિવસમાં રામનવમીની 19 શોભાયાત્રા નીકળશે
વડોદરા જિલ્લામાં ગુરૂવાર અને શુક્રવારે રામનવમી નિમિત્તે ૧૯ શોભાયાત્રા વિવિધ તાલુકામાં નિકળશે. જેની માટે એક SRP કંપની અને પોલીસનો બંદોબસ્ત ખડકાશે. ડભોઈ, પાદરા, સાવલી અને કરજણ સહિત વિવિધ તાલુકામાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ગુરૂવાર અને શુક્રવારે ૧૯ શોભાયાત્રાની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી અપાઈ છે, જેથી બે દિવસ માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે. શોભાયાત્રા માટે SRPની એક ટુકડી ખાસ જિલ્લાને ફળવાઈ છે. આ ઉપરાંત એક SP અને ચાર ડીવાયએસપી તેમજ વિવિધ સ્થળે સુરક્ષા કર્મીઓ દ્વારા ચાંપતી નજર રખાશે.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે, હવે રોબોટિકસ અને AIનો યુગ