વડાપ્રધાન મોદીના શાસનના 8931 દિવસ પૂર્ણ થયાં છે. જે અંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા થનારા આયોજનો અંગે તેમણે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કહ્યું હતું કે, ચૂંટણી પંચ તારીખ નક્કી કરીને ચૂંટણીની જાહેરાત કરશે. અમે એક રાજકીય પક્ષ હોવાથી તૈયારીઓ શરૂ કરી છે. તેમણે આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતાં.
ચોમાસુ આવે અને દેડકા પંજાબ દિલ્હીથી ગુજરાતમાં આવે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ તારીખ નક્કી કરીને ચૂંટણીની જાહેરાત કરશે. અમારે એક રાજકીય પક્ષ તરીકે વ્યવસ્થા કરવાની હોય છે. અત્યાર સુધી પક્ષમાં વિવિધ કમિટીઓ બનાવવાનું કામ પૂર્ણ થયું છે. કોર ટીમ અને ચૂંટણી સમિતી જાહેર કરી છે. અમે ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં નથી જતા. ચોમાસુ આવે અને દેડકા પંજાબ દિલ્હીથી ગુજરાતમાં આવે છે.
જગદીશ વિશ્વકર્માએ કેજરીવાલને બહુરૂપિયા ગણાવ્યા
તેમણે આમ આદમી પાર્ટી સામે નિશાન સાધતા કહ્યું હતું કે, ખેડૂતોને પંજાબમાં માર મારવામાં આવે છે. ગુજરાત આરોગ્ય માટે હેલ્થકેરની સહાય કરતુ રાજ્ય છે. ટેકાના ભાવે સૌથી વધુ ખરીદી ગુજરાત કરે છે. અતિવૃષ્ટિમાં ક્યારેય ખેડૂતોને સરકારે નિરાશ નથી કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાશે નહીં. તેમની સભામાં ખુરશીઓ ખાલી રહે છે અને લોકોને પૈસા આપીને બોલાવવામાં આવે છે. બહુરૂપિયા કેજરીવાલ અને ભગવંત માન અહીં આવીને પ્રચાર કરે છે.