Ahmedabad: જુહાપુરામાં ઇન્સ્ટા સ્ટોરી બાબતે યુવકની કરપીણ હત્યા, વાત કરવા બોલાવી છરી-પથ્થરથી ખેલાયો મોતનો ખેલ

શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. 24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જિદ પાસે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી સામાન્ય બાબતે મોહમદ સાલીક શેખ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે.

અમદાવાદના જુહાપુરામાં મર્ડર

મળતી માહિતી મુજબ, આરોપીઓએ મોહમદ સાલીક શેખને વાત કરવાના બહાને આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. સાલીક તેના મિત્ર સાથે ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ૩ શખ્સોએ તેમના પર છરી અને પથ્થરો વડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં સાલીકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસ

વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી કોઈ સ્ટોરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Amreli: બગસરામાં ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ, ચણાની સાથે હવે રાયડાની ખરીદી પણ શરૂ


Leave a Comment