Ahmedabad : સાણંદના છારોડીમાં વૃદ્ધાની હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ, પંથકમાં ફફડાટ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છારોડી ગામમાં એક વૃદ્ધાની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. 65 વર્ષીય મદીનાબાનુ કુરેશી નામની વૃદ્ધાની તેમના જ મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા મોડી રાત્રે થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

 વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ

ઘટનાની વિગતો મુજબ, મદીનાબાનુ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે હત્યારાઓએ પુરાવા નાશ કરવા અથવા ગુનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકા સામે આવી છે. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતા જ સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને એફએસએલ (FSL)ની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ છે કે પછી કોઈ અંગત અદાવત? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો—-    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Leave a Comment