Wadhwan: વઢવાણના બાળા ગામે વર્ષો જુનો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવાતા નાગરિકોને પરેશાની

વઢવાણ તાલુકાના બાળા ગામના રેલવે સ્ટેશન પાસે ખેડુતોને ખેતરે જવાનો વર્ષો જુનો રસ્તો આવેલો હતો. આ રસ્તો હાલમાં રેલવે દ્વારા આડશ કરીને બંધ કરી દેવાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ગામના યુવાનોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવેની અનેક સ્થળે જમીન રૂપી સંપત્તી આવેલી છે. રેલવે દ્વારા તેનો કોઈ વપરાશ ન હોય તો પણ ગામલોકો તેનો ઉપયોગ કરે તો રેલવે તેના પર પ્રતીબંધ મુકી દે છે. આ જમીનનો રેલવે પોતે ઉપયોગ તો નથી કરતી પણ કોઈના ઉપયોગમાં પણ આવવા નથી દેતી. આવી જ સ્થીતી વઢવાણ તાલુકાના બાળા ગામે ઉભી થઈ છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી રેલવે લાઈન બાળા પાસેથી પસાર થાય છે. બાળા ગામે નાનુ એવુ રેલવે સ્ટેશન પણ આવેલુ છે. આ રેલવે સ્ટેશન પાસેથી ગામના 50થી વધુ ખેડુતોને પોતાના ખેતરે જવાનો રસ્તો છે. આ રસ્તો રેલવેની હદમાં આવતો હોઈ તાજેતરમાં રેલવે દ્વારા લોખંડની એંગલો અને પતરા નાંખીને રસ્તો બંધ કરી દેવાયો છે. જેને લીધે ખેડુતોને પોતાના ખેતરે જવામાં અને ખેત પેદાશો લઈને આવવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. આ સમસ્યાના નીવારણ માટે બાળાના નયનભાઈ રોજાસરા, હર્ષદભાઈ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા, કનાભાઈ કઠેચીયા, દશરથસિંહ ચાવડા, પ્રવીણભાઈ સીસોદીયા સહિતનાઓએ કલેકટર કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી છે. અને તાકીદે આ સમસ્યાનું નીવારણ લાવવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment