Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા એક ખાનગી મકાનમાં ચાલી રહેલા કામ દરમિયાન આ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તેમના મકાનમાં ચાલી રહેલા કામથી નાખુશ હતા. આ અસંતોષને પગલે તેમણે ત્યાં કામ કરી રહેલા મજૂરોને ઘરની અંદર પૂરી દઈ બહારથી લોક મારી દીધું હોવાના આક્ષેપો થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ચકચાર
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થયો છે. આ વીડિયોમાં કામદારો પોતે જ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને મજૂરોના નિવેદનોને પગલે ઉચ્ચ અધિકારીના વર્તન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
સનદી અધિકારી પરના આક્ષેપથી ખળભળાટ
રાજ્યના એક મહત્વના વિભાગના અધિક મુખ્ય સચિવ જેવું જવાબદાર પદ ધરાવતા અધિકારી પર જ્યારે મજૂરોને બંધક બનાવવાનો આરોપ લાગ્યો હોય, ત્યારે સચિવાલયના વર્તુળોમાં પણ આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કથિત કૃત્યને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કે તંત્ર દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.