Amreli : 60 લાખનો પુલ ‘સાંઢિયા’ જેવો ઊંચો બનાવી દીધો! નઘરોળ તંત્ર સામે ભાજપના કાર્યકર્તાએ ખોલ્યો મોરચો

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામનો એક મહત્વનો બ્રિજ અત્યારે ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ઢૂંઢિયા પીપળીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આશરે રૂપિયા 50 થી 60 લાખના તોતિંગ ખર્ચે બની રહેલા આ પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોલમલોલ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નબળી કામગીરી સામે કોઈ વિપક્ષે નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ એક સક્રિય કાર્યકર્તાએ અવાજ ઉઠાવીને પોતાની જ સરકારના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને કઠેડામાં ઊભા કરી દીધા છે.

 તમામ નીતિ-નિયમો નેવે મુકાયા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડિયા અને ઢૂંઢિયા પીપળીયા વચ્ચેનો આ માર્ગ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. રાત-દિવસ ખેડૂતો પોતાનો માલ-સામાન લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવા માટે આ જ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે. આ પુલનું કામ છેલ્લા એક વર્ષથી એકદમ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહનચાલકો ઓલરેડી પરેશાન હતા. હવે જ્યારે ચોમાસું માથા પર છે, ત્યારે પુલના કામમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા હોવાનું સપાટી પર આવ્યું છે.

પાયો ખોદ્યા વિના જ પુલ ચણી દીધો

ભાજપના કાર્યકર્તાએ પુલની ગુણવત્તા સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, પુલનો પાયો જેટલો ઊંડો ખોદવો જોઈતો હતો એટલો ખોદવામાં જ આવ્યો નથી. પાયો ઊંડો ન હોવાના કારણે પુલ ‘સાંઢિયા’ જેવો અત્યંત ઊંચો બની ગયો છે, જેના કારણે ચોમાસામાં પાણીના પ્રવાહ સામે આ પુલ ટકી શકશે કે કેમ તે મોટો સવાલ છે. બ્રિજ પર ફિનિશિંગના નામે તદ્દન મીંડું છે. જો આ નબળો પુલ આમ જ ખુલ્લો મુકાશે તો આગામી ચોમાસામાં ખેડૂતો અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનશે. ભ્રષ્ટાચારથી ખદબદતા આ પુલને તાત્કાલિક અસરથી તોડી પાડીને નવેસરથી મજબૂત બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

આ પણ વાંચો—-     Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી

Leave a Comment