Ahmedabadના ખાડિયામાં વધુ એક મકાન થયું ધરાશાયી, પખાલીની પોળમાં બનેલી ઘટનામાં મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલ ખાડિયામાં મકાન ધરાશાયી થવાની વધુ એક ઘટના સામે આવી છે. ખાડિયા વિસ્તારમાં આવેલી પખાલીની પોળમાં એક મકાન અચાનક કડાકાભેર ધરાશાયી થયું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજના કારણે અતિ જર્જરિત થઈ ગયેલું આ મકાન કડડભૂસ થઈને નીચે પડતાં આસપાસના રહીશોમાં ક્ષણભર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

મકાન અગાઉથી જ જર્જરિત હતું, સદનસીબે જાનહાનિ ટળી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મકાન અગાઉથી જ અત્યંત બોદા અને જર્જરિત હાલતમાં હતું. દુર્ઘટના સમયે મકાનની આસપાસ કે અંદર કોઈ હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેનાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મકાન ધરાશાયી થતાં તેનો કાટમાળ પોળના રસ્તા પર પથરાઈ ગયો હતો, જેને પગલે થોડા સમય માટે અવરજવર ખોરવાઈ ગઈ હતી.

કોટ વિસ્તારના જર્જરિત મકાનો સામે તંત્રની કામગીરી પર સવાલો

અમદાવાદના પૂર્વ કોટ વિસ્તારમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આવી જર્જરિત બિલ્ડિંગો અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે. પખાલીની પોળમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે જોખમી અને જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ટાળી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment