
ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અહીં એક જ પક્ષના બે અલગ-અલગ ઉમેદવારોએ પોતાને સત્તાવાર ઉમેદવાર ગણાવી ફોર્મ ભરતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
વોર્ડ નંબર-2 માં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુતુબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર ‘મેન્ડેટ’ રજૂ કર્યું છે. નિયમ મુજબ પક્ષ એક બેઠક પર એક જ મેન્ડેટ આપે છે પરંતુ અહીં બે મેન્ડેટ સામે આવતા ચૂંટણી વિભાગ અને પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગઈ છે.
શહેર પ્રમુખે વ્યક્ત કરી શંકા!!!
આ ગૂંચવણ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સમસાદ અલી સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા મેન્ડેટ તરફ શંકા વ્યક્ત કરી છે. સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, “આ મામલે પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.”
સોશિયલ મીડિયા પર એકતરફ પુરાવા તો બીજી તરફ મૌન
વિવાદ વચ્ચે કુતુબુદ્દીન પટેલ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે પોતાનું મેન્ડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી દીધું છે અને પોતે જ પક્ષના અધિકૃત ઉમેદવાર હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમસાદ અલી સૈયદ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આગામી વ્યૂહરચના
હવે સૌની નજર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. જો મેન્ડેટ ખોટું સાબિત થાય તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.
એક જ વોર્ડમાં બે મેન્ડેટ રજૂ થવાને કારણે ભરૂચ કોંગ્રેસની સંગઠન શક્તિ અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.જો તપાસમાં સાબિત થાય કે કોઈ એક મેન્ડેટ નકલી છે તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે
સમર્થકોમાં મૂંઝવણ
વોર્ડ નંબર-2 ના કાર્યકરો અને મતદારોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે કે પક્ષના સાચા ઉમેદવાર કોણ છે અને પ્રચાર કોનો કરવો?