લેન્સકાર્ટ કંપની સામે શરુ થયેલો વિરોધ રાજ્યભરમાં પ્રસરી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ આજે બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો લેન્સકાર્ટ કંપની સામે મેદાનમાં ઉતર્યા હતા. શહેરના લેન્સકાર્ટ સ્ટોર પર પહોંચી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હિન્દુ ધર્મના પ્રતીકોના અપમાન સામે રોષ ઠાલવ્યો હતો.
કર્મચારીઓને તિલક કરી અનોખો વિરોધ
અમરેલીમાં હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં લેન્સકાર્ટની દુકાને પહોંચ્યા હતા. તેમણે કંપનીની નીતિઓનો વિરોધ કરવા માટે ત્યાં હાજર કર્મચારીઓના કપાળ પર તિલક કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સંગઠનોનું કહેવું છે કે, “ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં કોઈ પણ કર્મચારીને તેની ધાર્મિક માન્યતાઓ કે પ્રતીકો ધારણ કરતા અટકાવવા તે બંધારણીય અધિકારોનું હનન છે.” શિખા અને તિલક એ સનાતન ધર્મની ઓળખ છે અને તેના અપમાનને ચલાવી લેવામાં આવશે નહીં.
પોલીસનો લોખંડી બંદોબસ્ત
વિરોધ પ્રદર્શનને પગલે શહેરમાં વાતાવરણ તંગ ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લેન્સકાર્ટ સ્ટોરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.