Vadodara : 10 દિવસમાં 264 સ્થળોએ આરોગ્ય વિભાગનું ચેકિંગ, કારેલીબાગમાંથી 17 કિલો પનીર સીઝ કરાયું

વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પનીર અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળને પકડવા માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે.

264 એકમોમાં તપાસ અને 10 નમૂના લેવાયા

આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના પનીરનું વેચાણ કે ઉપયોગ કરતા કુલ 264 યુનિટ્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 10 વિવિધ એકમો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. જો આ નમૂના રિપોર્ટમાં ફેલ જશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

કારેલીબાગમાં પનીરનો જથ્થો સીઝ કરાયો

આ કાર્યવાહી દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં એક એકમ પર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ અને શંકાસ્પદ ગુણવત્તાવાળું 17 કિલો પનીર મળી આવ્યું હતું. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની શરૂઆત અને તહેવારોની મોસમમાં દૂધની બનાવટોમાં ભેળસેળની શક્યતા વધુ હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો—     Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

Leave a Comment