અરવલ્લી જિલ્લાના માલપુરમાં વૃદ્ધાને છેતરીને ચાંદીના કડલા પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. 4 માર્ચના રોજ બનેલી આ ઠગાઈની ઘટના એટલી આઘાતજનક હતી કે, પોતાની આજીવનની મૂડી સમાન દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ મોત બાદ માલપુર પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.
1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા
મળતી માહિતી મુજબ, ત્રણ ગઠિયાઓએ વૃદ્ધાને વાતોમાં ભોળવી તેમની પાસેથી અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધાના આત્મહત્યાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
2 આરોપી ઝડપાયા
આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મોડાસાના ડુંગરી વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
2.5 લાખની કિંમતના ચાંદીના કડલા જપ્ત
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.5 લાખની કિંમતના ચાંદીના કડલા અને ગુનામાં વપરાયેલ એક્ટિવા જપ્ત કર્યું છે. જોકે, આ ટોળકીનો હજુ એક સાગરીત પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા શખ્સો અગાઉ અન્ય કેટલી ઠગાઈમાં સામેલ છે તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. છેતરપિંડીને કારણે એક નિર્દોષ જીવ ગુમાવનાર વૃદ્ધાના પરિવારને ન્યાય અપાવવા પોલીસે ત્રીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.