
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ભવ્ય ‘જન સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાંકરિયા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્ટેચ્યુ પાસે યોજાશે. જ્યાં અમદાવાદના તમામ 192 ઉમેદવારો એકસાથે જન સેવાનો સંકલ્પ લેશે અને પોતાના પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કરશે.
15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે
આ ‘જન સંકલ્પ’ કાર્યક્રમ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે. ભાજપે આ અભિયાનને વ્યાપક બનાવવા માટે રાજ્યભરના સિનિયર આગેવાનોને અલગ-અલગ શહેરોમાં જવાબદારી સોંપી છે.
મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના કર્ણાવતી મહાનગરમાં ઉપસ્થિત રહીને ઉમેદવારોને માર્ગદર્શન આપશે અને સંકલ્પ લેવડાવશે. બીજી તરફ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે.
ભાજપના આ આયોજનનો મુખ્ય હેતુ ઉમેદવારોને એક સાથે લાવીને પ્રજાસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો છે. એક સાથે, એક સમયે સમગ્ર રાજ્યમાં યોજાતા આ કાર્યક્રમથી ચૂંટણી પ્રચારને મજબૂત ગતિ મળશે અને સંગઠનની શક્તિનું પ્રદર્શન પણ થશે.