દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળ લૂંટવાની દોડધામ મચી ગઈ હતી.
પાટીયાઝોલ પુલ પર નારિયેળ ભરેલી ટ્રક પલટી
મળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાઠીના જોરે લૂંટ ચલાવી રહેલા લોકોને ભગાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં લોકોની આવી સંવેદનહીનતા ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Surat: સુર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે દબોચ્યો, ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી