ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરથી દૂર રહીને રાજ્યપાલે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમની આ સહજતા જોઈને મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સચિવાલયથી રાણીપ સુધીનો પ્રવાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે કોઈ ખાસ સુવિધા લેવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને વિન્ડો પરથી જાતે ટિકિટ (ટોકન) ખરીદી હતી. રાજ્યપાલને પોતાની સાથે મેટ્રોમાં મુસાફરી કરતા જોઈ મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુસાફરો સાથે સહજ સંવાદ
મુસાફરી દરમિયાન રાજ્યપાલે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો સાથે અત્યંત સહજતાથી વાતચીત કરી હતી. તેમણે લોકો પાસેથી મેટ્રોની સુવિધાઓ અને તેમના અનુભવો વિશે પૃચ્છા કરી હતી. રાજ્યપાલે મેટ્રો ટ્રેનની સુવિધા અને સમયબદ્ધતાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મેટ્રો એ ઉત્તમ વિકલ્પ છે.
આ પણ વાંચો – Gandhinagar news: કોંગ્રેસમાં મોટું ઓપરેશન, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 20 હોદ્દેદારો સસ્પેન્ડ