સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને હાંસોટ પંથકમાં ભાઈ-ભાઈ વચ્ચેનો રાજકીય જંગ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે તેમના સગા ભાઈ વલ્લભ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે.
એક જ પરિવારના 5 સભ્યો મેદાનમાં
મંત્રી ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલની પરિવારવાદની નીતિ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વલ્લભદાસ પોતે હાંસોટના રાજા હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેમણે પત્ની, પુત્રી, પુત્ર અને પુત્રવધૂ સહિત પરિવારના કુલ 5 સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા છે. ઇશ્વરસિંહ પટેલે કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા એટલે તેમણે આખા પરિવારને ચૂંટણી મેદાનમાં ઉતારવો પડ્યો છે.
‘કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ’
ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલને પડકાર ફેંકતા કહ્યું કે, જો વલ્લભદાસે હાંસોટમાં એક પણ નોંધપાત્ર કામ કર્યું હોય, તો તે બતાવે, જો તે સાબિત કરી દેશે તો હું રાજનીતિ છોડી દઈશ. વધુમાં તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, વલ્લભ પટેલ ભાજપમાં આવવા માટે ખૂબ જ તલપાપડ હતા, પરંતુ તેમની સત્તાની લાલસાને કારણે તેઓ ભાજપમાં સામેલ થઈ શક્યા નથી. આ શાબ્દિક પ્રહારોને લીધે હાંસોટનું રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે, વલ્લભ પટેલ પોતાના ભાઈ અને મંત્રીના આ આક્ષેપોનો શું જવાબ આપે છે.