પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાનો મામલો હવે સુરત સાથે જોડાયો છે. હત્યાના માત્ર બે કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના જાણીતા ભાજપ અગ્રણી ડો. પ્રકાશ ચંદ્ર સાથે હતા, જે બાદ તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
સાથે ચા પીધી અને 2 કલાક બાદ જ હત્યા
ડો. પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર, તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અર્થે છે. હત્યાના દિવસે રાત્રે તેઓ અને ચંદ્રનાથ રથ એક ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં સાથે હતા. બંનેએ સાથે બેસીને ચા પીધી હતી અને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. રાત્રે 10:30 કલાકે ચંદ્રનાથ રથ ‘હું ઘરે જમવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.
રેકી કરીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ
ચંદ્રનાથ રથ જ્યારે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની ગાડી આંતરી હતી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી તેમની હત્યા કરી દીધી હતી. ડો. પ્રકાશ ચંદ્રના મતે, આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક મોટું રાજકીય ષડયંત્ર છે. હુમલાખોરોએ અગાઉથી રેકી કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બંગાળમાં રહેલા સુરતી કાર્યકરોમાં ચિંતા
હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાજપ કાર્યકર્તાઓ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મોરચો સંભાળી રહ્યા છે. આ હિંસક ઘટના બાદ ત્યાં રહેલા સુરતી કાર્યકર્તાઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે. ડો. પ્રકાશ ચંદ્ર અને અન્ય આગેવાનોએ આ મામલે યોગ્ય સુરક્ષા અને તપાસની માગ કરી છે.
આ પણ વાંચો – Suvendu Adhikari PA Murder: નકલી નંબર પ્લેટ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 રાઉન્ડ ફાયરિંગ…જાણો તપાસમાં શું આવ્યું બહાર?