Rajkot News: જસદણમાં આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા, પાળી પરથી મળી માત્ર સાયકલ અને કપડાં

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અત્યંત કરૂણ સમાચાર સામે આવ્યા છે. જસદણથી આશરે 4 કિલોમીટર દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા પડેલા ચાર કિશોરો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી છે.

તળાવની પાળ પરથી મળ્યા કપડાં અને સાયકલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સામાન્ય પરિવારના ચાર બાળકો બપોરના સમયે તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પરથી બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.

ગૂમ થયેલા બાળકોની વિગત

તળાવની જળરાશિમાં ગૂમ થયેલા ચારેય બાળકો એક જ જ્ઞાતિના અને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.

  • રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર: 14 વર્ષ)
  • કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર: 10 વર્ષ)

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન જાહેર

ઘટનાને પગલે જસદણ પોલીસ અને ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચાર-ચાર માસૂમ બાળકોના ડૂબવાની આશંકાએ સમગ્ર જસદણ પંથકમાં અને બાળકોના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો – Rajkot News: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગી આગ, ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે

Leave a Comment