Kutch : રાપરના અમારાપર ગામે કરુણાંતિકા, તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત

ઉનાળાની શરૂઆત સાથે જ જળાશયોમાં ન્હાવા પડતી વખતે સર્જાતી દુર્ઘટનાઓની હારમાળા શરૂ થઈ ગઈ છે. કચ્છના રાપર તાલુકાના અમારાપર ગામે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તળાવમાં ન્હાવા ગયેલા ચાર બાળકો પૈકી એક કિશોરનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કલાકોની શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પગ લપસતા સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, અમારાપર ગામના ચાર કિશોરો બપોરના સમયે ગામના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. મસ્તી-મજાક સાથે ન્હાઈ રહેલા આ બાળકો પૈકી એક કિશોરનો અચાનક પગ લપસી ગયો હતો અને તે તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ કિશોર પાણીમાં ક્યાંય દેખાયો નહોતો.

ભચાઉ ફાયર વિભાગની કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો—     Ahmedabadની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી, વટવામાં 35 વર્ષ પહેલા યુવતીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી હોવાની આશંકા

Leave a Comment