Surendranagar: લીંબડી અને લખતર તાલુકાના ત્રણ ખેડૂતોને ચેક રીટર્ન કેસમાં કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

રતનપરની ખેતી બેંકમાંથી ધીરાણ મેળવેલ લીંબડી અને લખતર તાલુકાના 3 ખેડુતોએ આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયા હતા. જેમાં ત્રણેય આરોપીઓને દોષીત ઠેરવી કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. રતનપરની ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ. એગ્રી એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક દ્વારા ખેડુતોને ખેતીની જમીન પર ધીરાણ આપવામાં આવે છે. જેમાં લીંબડી તાલુકાના શીયાણીના ધુડા રામજીભાઈ વસોયાએ તા. 25-10-2019ના રોજ 5 વર્ષ માટે 1 લાખનું ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 16-9-25ના રોજ રૂપીયા 80,902નો આપેલો ચેક એકાઉન્ટ ઈન ઓપરેટીવના શેરા સાથે પરત ફર્યો હતો. જયારે લીંબડી તાલુકાના ભગવાનપરના ભુપત લક્ષ્મણભાઈ ગંગાણીએ તા. 23-2-23ના રોજ રૂપીયા1.50 લાખનું 3 વર્ષની અવધી માટે ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 16-9-25ના રોજ આપેલો રૂપીયા 20,513નો ચેક અપુરતા ભંડોળને લીધે પરત ફર્યો હતો. આ ઉપરાંત લખતર તાલુકાના મોઢવાણાના માનસંગ જેસીંગભાઈ ખાખરીયાએ તા. 14-11-24ના રોજ 3 વર્ષ માટે 1.50 લાખનું ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 17-9-25ના રોજ આપેલો રૂપીયા 21,409નો ચેક અપુરતા ભંડોળને લીધે પરત ફર્યો હતો. આથી બેંકના લીગલ ઓફીસર ડી.પી.રાણા અને બેંકના કર્મી રાજવીરસિંહ જયદેવસિંહ ઝાલા મારફત સુરેન્દ્રનગરની એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં આ ત્રણેય કેસ દાખલ કરાયા હતા. આ તમામ કેસ ચાલી જતા બેંકના વકીલ એન.એ.વ્યાસની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે જજ પી.એમ.ઝાલાએ આરોપી ધુડા રામજીભાઈ વસોયા, ભુપત લક્ષ્મણભાઈ ગાંગાણી અને માનસંગ જેસીંગભાઈ ખાખરીયાને 1 વર્ષની સજા ફટકારી છે. જયારે ચેકની રકમ બેંકને ચુકવવા પણ હુકમ કર્યો છે. ત્રણેય આરોપીઓની ગેરહાજરીમાં કોર્ટે જજમેન્ટ આપીને તેઓના પકડ વોરંટ પણ ઈસ્યુ કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment