Tapiમાં કાળનો પંજો: ઉચ્છલ તાલુકામાં સર્જાયેલા બે જુદા-જુદા અકસ્માતમાં બે બાઇક ચાલકોના કરુણ મોત

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પહેલી ઘટના ઉચ્છલ-નિઝર હાઈવે પર આવેલા દેવચાદ બ્રિજ પાસે ઘટી હતી. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં બાઇક ચાલક મારગીયા વસાવા નામના સ્થાનિક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ચચરબુદા ટેકરા નજીક સર્જાયો હતો અકસ્માત

બીજી કાળઝાળ ઘટના સોનગઢથી ઉચ્છલ તરફ આવતા હાઈવે પર ચચરબુદા ટેકરા નજીક નોંધાઈ હતી. અહીં બાઇક અને દૂધના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો સખત હતો કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક પડોશી રાજ્ય મહારાષ્ટ્રના શિરપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એક જ દિવસમાં બે મોતે અરેરાટી ફેલાવી

ઉચ્છલ તાલુકામાં ગણતરીના કલાકોમાં જ બનેલી અકસ્માતની આ બે મોટી ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહી છે. આ બંને મામલાની જાણ થતાં જ ઉચ્છલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment