Suratના વેલંજામાં પૂર અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર, પ્રાથમિક શાળામાં આશરો આપી ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ
સુરત શહેર અને જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કામરેજ/સુરત ગ્રામ્ય વિસ્તારના વેલંજા પંથકના અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વેલંજા પ્રાથમિક શાળા બન્યું આશ્રયસ્થાન
સ્થળાંતરિત કરવામાં આવેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને વેલંજાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશરો આપવામાં આવ્યો છે. અહીં આશ્રય લઈ રહેલા લોકો માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપત્તિના સમયમાં લોકોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત જોવા મળી રહ્યું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધી મુલાકાત
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ડીસીપી (DCP) લગધીરસિંહ ઝાલા, એસીપી (ACP) પાર્થ ચૌવટિયા, પીઆઈ ગૌસ્વામી અને પીએસઆઈ ડી. ડી. રાઠોડ સહિતના પોલીસ કાફલાએ વેલંજા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ આશ્રયસ્થાને પહોંચીને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી.