રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આશરે 500થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. લોકો પાસેથી આવાસના નામે વ્યક્તિ દીઠ રૂ. 50,000થી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.
હાઈપ્રોફાઈલ ઓળખ આપી છેતરપિંડી
ભોગ બનનારા લોકોના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર અંકિત પટેલ પોતાની ઓળખ હાઈપ્રોફાઈલ રીતે આપતો હતો. તે લોકોને કહેતો હતો કે, તે ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરે છે. એટલું જ નહીં, લોકોનો વિશ્વાસ જીતવા માટે તે પોતાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભત્રીજો હોવાનું પણ જણાવતો હતો. આ હાઈપ્રોફાઈલ ઓળખના જોરે તેણે એક વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી સરકારી આવાસ અપાવવા માટે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા.
બોડકદેવ પોલીસ સ્ટેશને લોકોનો ધસારો
છેલ્લા ઘણા સમયથી આવાસ ન મળતા અને પૈસા પરત ન આવતા, આજે મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોએ અંકિત પટેલ અને રાગીણી પટેલ નામના શખ્સો વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો એક જ સૂર હતો કે, ગમે તે ભોગે અમારા મહેનતના પૈસા પાછા આપો. પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ભોગ બનનારાઓએ આરોપીઓ વિરૂદ્ધ હુરિયો બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
પોલીસે અંકિત પટેલને રાઉન્ડઅપ કર્યો
ઘટનાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અંકિત પટેલને રાઉન્ડઅપ કરી લીધો છે. હાલ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા કુલ કેટલા રૂપિયાની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.