Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં માતમ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ક્રોસ ફાયરિંગમાં સલાયાના એક વહાણના ક્રૂ મેમ્બરનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખલાસીના પરિવારજનો અને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે.

દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, ‘MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1’ નામનું વહાણ દુબઈથી માલ ભરીને યમન જઈ રહ્યું હતું. આ દરમિયાન મધદરિયે ઈરાન અને અમેરિકાના સૈન્ય વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું. અંધાધૂંધ ગોળીબારને કારણે આ વહાણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમાં પાણી ભરાતા તે ડૂબવા લાગ્યું હતું.

સલાયાના યુવકનું મોત, અન્ય ખલાસીઓ સુરક્ષિત

આ દુર્ઘટના સમયે એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે આ તમામ ખલાસીઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચાડ્યા છે.

દેહ વતન લાવવા ભારત સરકારને રજૂઆત

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે ભારત સરકારને ઈમેલ મારફતે રજૂઆત કરી છે. તેમણે માગ કરી છે કે, મૃતક અલ્તાફ કેરના દેહને તાત્કાલિક વતન સલાયા લાવવામાં આવે અને દુબઈમાં રહેલા બાકીના ખલાસીઓને પણ વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. આ સાથે ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો – Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ

Leave a Comment