Kheda News: ઠાસરા અને ગળતેશ્વર પંથકમાં પેટ્રોલની ભારે અછત, કંપનીઓ જથ્થો ઓછો ફાળવતા વાહનચાલકો અટવાયા

ખેડા જિલ્લાના ઠાસરા અને સેવાલિયા સહિત ગળતેશ્વર તાલુકાના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર આજે સ્ટોક ખલાસ થઈ જતાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા છે. પેટ્રોલ ન મળવાને કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠાસરા અને સેવાલિયામાં પેટ્રોલ ન મળતા વાહનચાલકો ડાકોર તરફ દોડ્યા હતા, જેના કારણે ડાકોરના પેટ્રોલ પમ્પ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ડાકોરમાં પણ સ્થિતિ એવી છે કે ગણતરીના સમયમાં જ ત્યાં પેટ્રોલનો જથ્થો પૂરો થઈ જાય તેવી શક્યતા છે.

કૃત્રિમ અછતનો ભય: કંપનીઓ દ્વારા ઓછો પુરવઠો

મળતી માહિતી મુજબ, પેટ્રોલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ત્રણ દિવસે માત્ર એક જ વાર પેટ્રોલનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પુરવઠો ન મળવાને કારણે બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામીણ અને તાલુકા મથકોના પમ્પ પર જથ્થો ઝડપથી પૂરો થઈ જાય છે અને કંપનીઓ નવો સ્ટોક મોકલવામાં વિલંબ કરતી હોવાથી પમ્પો બંધ રાખવાની નોબત આવી છે.

યાત્રિકો અને વાહનચાલકોની હાલત કફોડી

ડાકોર જેવા ધાર્મિક સ્થળ નજીક હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓ અને પદયાત્રીઓ પણ આ અછતના કારણે અધવચ્ચે અટવાઈ પડ્યા છે. સેંકડો વાહનચાલકો પેટ્રોલ માટે એક પમ્પથી બીજા પમ્પ પર ભટકી રહ્યા છે, પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળતો નથી. જો પેટ્રોલ કંપનીઓ દ્વારા તાત્કાલિક જથ્થો ફાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વાહનવ્યવહાર પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ મામલે દરમિયાનગીરી કરી ત્વરિત ઉકેલ લાવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Ahmedabadના ગોમતીપુરનો પરિવાર વિદેશમાં બન્યો બંધક, એજન્ટોએ માંગી રૂ.1 કરોડની ખંડણી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું એક દંપતી અને તેમના બે પુત્રો ગત 20 એપ્રિલે દિલ્હી મારફતે વિદેશ જવા નીકળ્યા હતા. એજન્ટો દ્વારા આ પરિવારને દિલ્હી-શ્રીલંકા-દુબઈ થઈને લંડન મોકલવાનો પ્લાન સમજાવવામાં આવ્યો હતો. લંડન પહોંચ્યા બાદ પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયા એમ કુલ 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. પરિવાર દુબઈ પહોંચ્યો ત્યાં સુધી સતત સંપર્કમાં હતો, પરંતુ ત્યારબાદ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

લોહીલુહાણ ફોટા અને ધમકીભર્યા ફોનથી પરિવારમાં ફફડાટ

પરિવાર ગુમ થયા બાદ વિદેશી નંબર પરથી ‘બાબા ખાન’ નામે ધમકીભર્યા ફોન આવવાના શરૂ થયા છે. આ ટોળકીએ પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. હદ તો ત્યારે થઈ જ્યારે એજન્ટોએ લોહીથી લથપથ યુવકનો ફોટો પરિવારને મોકલી ડરનો માહોલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં “એક દીકરાને મારી નાખ્યો છે” તેવી ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી છે. આ પરિવાર હાલ કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં: એજન્ટોની ધરપકડના ચક્રો ગતિમાન

આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે અમદાવાદના સ્થાનિક એજન્ટને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં વલસાડના અન્ય એક એજન્ટનું નામ પણ ખુલ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું રેકેટ હોવાથી પોલીસ વિવિધ એજન્સીઓની મદદ લઈ રહી છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના બહાને ચાલતા આ જીવલેણ ખેલમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી


IMD Weather Report Today: દેશભરમાં રવિવાર એટલે કે 10 મેના રોજ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે. આ ઉપરાંત, 50ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે.

રાજસ્થાન, ગુજરાતમાં ગરમ વાયરો

બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Rajkot News: વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લામાંથી રોકડ સેરવતી ટોળકી ઝડપાઈ, 10 ગુનાનો પર્દાફાશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી એક ટોળકીના મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા (રહે. ગારિયાધાર) અને બે સગીર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને એવી દુકાનોની રેકી કરતા જ્યાં ઉંમરલાયક વેપારી એકલા બેઠા હોય. ત્યારબાદ, એક શખ્સ નાની વસ્તુ લેવાના બહાને વેપારીને વાતોમાં પરોવી દુકાનની અંદર લઈ જતો, જ્યારે બીજો સાગરીત ગલ્લા કે ટેબલ પર રાખેલી રોકડ રકમ સેરવીને પળવારમાં ફરાર થઈ જતો હતો.

ભક્તિનગર પોલીસ સ્ટેશનની ફરિયાદથી ભેદ ઉકેલાયો

આ ટોળકીએ ગત 1 મે, 2026ના રોજ રાજકોટના હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન સ્ટોર ચલાવતા 58 વર્ષીય ભરતભાઇ ગોટેયાને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ તેલની શીશી લેવાના બહાને વેપારીને વાતોમાં રાખી ટેબલ પર રાખેલું 85,000 રૂપિયાની રોકડ ભરેલું જબલું ચોરી લીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આ ટોળકીને પકડી પાડી છે. તેમની પાસેથી 2.58 લાખની રોકડ અને એક વેન્યુ કાર મળી કુલ 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી વિકી વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 ગુનાની કબૂલાત

પકડાયેલી ટોળકીએ પ્રાથમિક પૂછપરછમાં રાજકોટમાં 2, ભાવનગરના સણોસરામાં 13 હજાર, વાસદમાં બિયારણની દુકાનમાંથી 1 લાખ, નવસારી અને ચીખલીમાં અલગ-અલગ દુકાનોમાંથી હજારો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે દુકાનમાં એકસાથે 3-4 અજાણ્યા શખ્સો આવે ત્યારે સતર્ક રહેવું. ગલ્લા કે રોકડ રાખવાના ખાનાને હંમેશા લોક રાખવા. દુકાનમાં સીસીટીવી કેમેરા ચોક્કસ લગાવવા જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે. હાલ ભક્તિનગર પોલીસે આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી ઝડપાતા સૌરાષ્ટ્રના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં માતમ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ક્રોસ ફાયરિંગમાં સલાયાના એક વહાણના ક્રૂ મેમ્બરનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખલાસીના પરિવારજનો અને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે.

દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, ‘MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1’ નામનું વહાણ દુબઈથી માલ ભરીને યમન જઈ રહ્યું હતું. આ દરમિયાન મધદરિયે ઈરાન અને અમેરિકાના સૈન્ય વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું. અંધાધૂંધ ગોળીબારને કારણે આ વહાણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમાં પાણી ભરાતા તે ડૂબવા લાગ્યું હતું.

સલાયાના યુવકનું મોત, અન્ય ખલાસીઓ સુરક્ષિત

આ દુર્ઘટના સમયે એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે આ તમામ ખલાસીઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચાડ્યા છે.

દેહ વતન લાવવા ભારત સરકારને રજૂઆત

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે ભારત સરકારને ઈમેલ મારફતે રજૂઆત કરી છે. તેમણે માગ કરી છે કે, મૃતક અલ્તાફ કેરના દેહને તાત્કાલિક વતન સલાયા લાવવામાં આવે અને દુબઈમાં રહેલા બાકીના ખલાસીઓને પણ વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. આ સાથે ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો – Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ

Breaking News: 6 મહિના કામ અને 6 મહિના આરામ કરનાર ખેલાડીની ધમાલ, 27 કરોડ રૂપિયાથી વધુ છે પગાર

Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

Surat News: સુવેન્દુ અધિકારીના PAની હત્યા પહેલા ડો. પ્રકાશ ચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત

પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાનો મામલો હવે સુરત સાથે જોડાયો છે. હત્યાના માત્ર બે કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના જાણીતા ભાજપ અગ્રણી ડો. પ્રકાશ ચંદ્ર સાથે હતા, જે બાદ તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

સાથે ચા પીધી અને 2 કલાક બાદ જ હત્યા

ડો. પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર, તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અર્થે છે. હત્યાના દિવસે રાત્રે તેઓ અને ચંદ્રનાથ રથ એક ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં સાથે હતા. બંનેએ સાથે બેસીને ચા પીધી હતી અને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. રાત્રે 10:30 કલાકે ચંદ્રનાથ રથ ‘હું ઘરે જમવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.

રેકી કરીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ

ચંદ્રનાથ રથ જ્યારે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની ગાડી આંતરી હતી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી તેમની હત્યા કરી દીધી હતી. ડો. પ્રકાશ ચંદ્રના મતે, આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક મોટું રાજકીય ષડયંત્ર છે. હુમલાખોરોએ અગાઉથી રેકી કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બંગાળમાં રહેલા સુરતી કાર્યકરોમાં ચિંતા

હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાજપ કાર્યકર્તાઓ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મોરચો સંભાળી રહ્યા છે. આ હિંસક ઘટના બાદ ત્યાં રહેલા સુરતી કાર્યકર્તાઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે. ડો. પ્રકાશ ચંદ્ર અને અન્ય આગેવાનોએ આ મામલે યોગ્ય સુરક્ષા અને તપાસની માગ કરી છે.

આ પણ વાંચો – Suvendu Adhikari PA Murder: નકલી નંબર પ્લેટ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 રાઉન્ડ ફાયરિંગ…જાણો તપાસમાં શું આવ્યું બહાર?