કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધીપરા મેઈન રોડ પર આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વણાકબારાથી દીવ તરફ જઈ રહેલી એક છકડો રિક્ષા અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, છકડો રિક્ષામાં લાખાભાઈ અને સંજયભાઈ નામના બે યુવાનો સવાર હતા. રિક્ષા જ્યારે ગાંધીપરા મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા ચાલક સંજયભાઈ (ઉંમર વર્ષ 25, રહેવાસી-ઝાખરવાડ) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઇજાગ્રસ્તને ઉના રિફર કરાયા
અકસ્માત સર્જાતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. રિક્ષામાં સવાર અન્ય યુવાન લાખાભાઈને પણ શરીરે વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને ઉના ખાતે રિફર કરવામાં આવ્યા છે. 25 વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી ઝાખરવાડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો—- Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર