ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત (DA) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા ₹1.22 કરોડથી વધુની મિલકત ગેરકાયદેસર રીતે એકત્રિત કરી છે.
12 વર્ષમાં ઊભું કર્યું કાળું નાણું
ACB ના જોઈન્ટ ડાયરેક્ટર પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2013 થી 2025 ના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમની પાસે કુલ આવકના 56.89% જેટલી વધુ મિલકત મળી આવી છે. આ મામલાની ગંભીરતાને જોતા ખાસ SITની રચના કરવામાં આવી છે, જે આરોપીએ સગા-સંબંધીઓના નામે કરેલા રોકાણોની પણ ઊંડી તપાસ કરી રહી છે.
આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
મહત્વનું છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી અન્ય એક કેસમાં હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જોકે, હવે ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નવો ગુનો નોંધી તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સરકારી બાબુ દ્વારા આટલી મોટી માત્રામાં અપ્રમાણસર મિલકત વસાવવાના ખુલાસાથી સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.