Banaskantha News : ધાનેરાના ખેડૂતે રખડતી ગાયો માટે પાંચ વિધામાં તૈયાર બાજરીનો પાક ખુલ્લો મુક્યો

બનાસકાંઠા જિલ્લો હંમેશાં તેની પશુપાલન સંસ્કૃતિ માટે જાણીતો રહ્યો છે.પરંતુ તાજેતરમાં ધાનેરા તાલુકામાંથી ગૌસેવા અને માનવતાનું એક એવું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેને જોઈને સૌ કોઈ કામગીરીને બિરદાવી રહ્યાં છે.ધાનેરાના એક ખેડૂતે ઉનાળાની આ કપરી સીઝનમાં રખડતા અને નિરાધાર પશુઓની વહારે આવીને પોતાનો કિંમતી પાક ગૌમાતાને અર્પણ કરી દીધો છે. પાંચ વિઘામાં વાવેલી લીલીછમ બાજરીનો પાક ગાયને ચરવા માટે ખુલ્લો મુકી દીધો છે.

ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ

ધાનેરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ તરક નામના પ્રગતિશીલ ખેડૂતે તેમના ખેતરમાં રાત-દિવસ એક કરીને પાંચ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું.હાલ એકદમ લીલોછમ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો.સામાન્ય રીતે ખેડૂત આ સમયે પાકની કાપણી કરીને તેને બજારમાં વેચીને કમાણી કરતો હોય છે.પરંતુ પ્રકાશભાઈએ બજારમાં અને રસ્તાઓ પર ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ જોઈને એક અત્યંત પ્રશંસનીય અને માનવતાભર્યો નિર્ણય લીધો છે.તેમણે લાખો રૂપિયાની કિંમતનો આ તૈયાર પાક વેચવાને બદલે રખડતી ગાયો માટે પોતાના ખેતરના દરવાજા હંમેશા માટે ખોલી દીધા છે.

લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ

અત્યારે બજારમાં ભૂખી તરસી ભટકતી અસંખ્ય ગાયો આ ખેતરમાં આવીને લીલીછમ બાજરી અને અનાજના ડુંડા નિરાંતે ચરી રહી છે અને તૃપ્તિનો અહેસાસ કરી રહી છે.પોતાના જિગરના ટુકડા સમાન મહામૂલા પાકને ગૌમાતા માટે ન્યોછાવર કરી દેવાના પ્રકાશભાઈના આ નિર્ણયની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. ગૌમાતા પ્રત્યેની અસીમ લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો ખેડૂત પ્રકાશભાઈ તરકની આ ઉદારતા અને પરોપકારી સેવાભાવનાને મન મૂકીને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધરતીપુત્ર જ પશુઓની આ સાચી વેદના સમજી શકે.

આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Leave a Comment