Gandhinagar : ધો. 10-12ના માર્કશીટમાં નામ-જન્મતારીખ સુધારવા માટે કેમ્પ યોજાશે, પરિણામ પહેલાં ભૂલ સુધારવાની છેલ્લી તક

ગાંધીનગર જિલ્લાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના ડેટામાં રહેલી ક્ષતિઓ સુધારવા અંગે શાળાના આચાર્યોને એક ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક કે જન્મતારીખ જેવી વિગતોમાં કોઈ સુધારો હોય તો તે પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી છે.

પરિણામ પહેલાં જ સુધારાની પ્રક્રિયા

સામાન્ય રીતે માર્કશીટ આવી ગયા પછી સુધારા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આ મુશ્કેલી નિવારવા માટે ગાંધીનગર DEO એ પહેલ કરી છે. આચાર્યોને સુચના આપવામાં આવી છે કે, શાળા કક્ષાએ જ ખાસ કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની વિગતો ચકાસી લેવી. જો કોઈ વિદ્યાર્થીના નામ, પિતાનું નામ, અટક કે જન્મતારીખમાં ભૂલ હોય, તો પરિણામ જાહેર થયા પહેલાં તેને સુધારી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો અને અરજી

જે વિદ્યાર્થીઓએ સુધારો કરાવવો હોય તેમણે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે પોતાની શાળામાં અરજી કરવાની રહેશે. શાળાના આચાર્ય દ્વારા આ અરજીની ચકાસણી કરવામાં આવશે અને દસ્તાવેજો સાચા જણાયા બાદ જ અરજી સ્વીકારી આગળ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓની ફાઈનલ માર્કશીટમાં સાચી વિગતો છપાઈને આવશે, જેથી ભવિષ્યમાં એડમિશન કે પાસપોર્ટ જેવી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.

આ પણ વાંચો—    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

Leave a Comment