Gandhinagar : ટેકાના ભાવે પાક ખરીદીમાં કાપ મૂકાતા અન્નદાતા આક્રોશમાં,કૃષિ મંત્રી સમક્ષ રજુઆત માટે પહોંચ્યા ખેડૂત આગેવાન

ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવાર જેવા મહત્વના પાકોની ખરીદીના ક્વોટામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા જ ધરતીપુત્રો આકરા પાણીએ થયા છે. આ અન્યાયી નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે. વિરોધ દર્શાવવા માટે કિસાન સંઘના આગેવાનો અનોખી રીતે સાયકલ ચલાવીને સચિવાલય પરિસરમાં આવ્યા હતા.

ખરીદી પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી

ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકારે અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાકની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ, હવે અચાનક આ નિર્ણય બદલીને ખરીદીનો આંકડો ઘટાડીને પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ યુ-ટર્ન અને ખરીદી મર્યાદામાં કરાયેલા તોતિંગ ઘટાડાને કારણે સામાન્ય ખેડૂતોને પોતાનો બાકીનો પાક ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવાની નોબત આવશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે.

કૃષિ મંત્રી સમક્ષ આરપારની લડત માટે રજૂઆત

સરકારની આ નીતિ સામે કિસાન સંઘના પ્રતિનિધિઓ સીધા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ જ પૂરેપૂરો પાક ટેકાના ભાવે ખરીદવો જોઈએ જેથી કરીને ખેડૂતોને તેમના સ્વેદબિંદુનું યોગ્ય વળતર મળી રહે. સચિવાલય ખાતે ખેડૂતોના આક્રોશને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત નહીં ખેંચે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

આ પણ વાંચો—-     Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી, કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર

Amreli : 60 લાખનો પુલ ‘સાંઢિયા’ જેવો ઊંચો બનાવી દીધો! નઘરોળ તંત્ર સામે ભાજપના કાર્યકર્તાએ ખોલ્યો મોરચો

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામનો એક મહત્વનો બ્રિજ અત્યારે ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ઢૂંઢિયા પીપળીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આશરે રૂપિયા 50 થી 60 લાખના તોતિંગ ખર્ચે બની રહેલા આ પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોલમલોલ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નબળી કામગીરી સામે કોઈ વિપક્ષે નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ એક સક્રિય કાર્યકર્તાએ અવાજ ઉઠાવીને પોતાની જ સરકારના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને કઠેડામાં ઊભા કરી દીધા છે.

 તમામ નીતિ-નિયમો નેવે મુકાયા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડિયા અને ઢૂંઢિયા પીપળીયા વચ્ચેનો આ માર્ગ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. રાત-દિવસ ખેડૂતો પોતાનો માલ-સામાન લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવા માટે આ જ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે. આ પુલનું કામ છેલ્લા એક વર્ષથી એકદમ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહનચાલકો ઓલરેડી પરેશાન હતા. હવે જ્યારે ચોમાસું માથા પર છે, ત્યારે પુલના કામમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા હોવાનું સપાટી પર આવ્યું છે.

પાયો ખોદ્યા વિના જ પુલ ચણી દીધો

ભાજપના કાર્યકર્તાએ પુલની ગુણવત્તા સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, પુલનો પાયો જેટલો ઊંડો ખોદવો જોઈતો હતો એટલો ખોદવામાં જ આવ્યો નથી. પાયો ઊંડો ન હોવાના કારણે પુલ ‘સાંઢિયા’ જેવો અત્યંત ઊંચો બની ગયો છે, જેના કારણે ચોમાસામાં પાણીના પ્રવાહ સામે આ પુલ ટકી શકશે કે કેમ તે મોટો સવાલ છે. બ્રિજ પર ફિનિશિંગના નામે તદ્દન મીંડું છે. જો આ નબળો પુલ આમ જ ખુલ્લો મુકાશે તો આગામી ચોમાસામાં ખેડૂતો અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનશે. ભ્રષ્ટાચારથી ખદબદતા આ પુલને તાત્કાલિક અસરથી તોડી પાડીને નવેસરથી મજબૂત બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

આ પણ વાંચો—-     Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી

12 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો રાજયોગના આશીર્વાદ કોને મળશે

12 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો રાજયોગના આશીર્વાદ કોને મળશે

Jupiter Transit 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આજે બપોરે દેવગુરુ ગુરુ એક મોટો અને દુર્લભ રાશિ પરિવર્તન કરવાના છે. દૃક પંચાંગ અનુસાર, દેવગુરુ ગુરુ 2 જૂન, 2026 ના રોજ બપોરે 2:25 વાગ્યે મિથુન રાશિ છોડીને તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં ગોચર કરશે. નોંધપાત્ર રીતે ગુરુનું તેની ઉચ્ચ રાશિમાં ગોચર 12 વર્ષ પછી થઈ રહ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ અને લાભદાયી ગ્રહ માનવામાં આવે છે, જે કુંડળીમાં સૌથી ગંભીર દોષોને પણ શાંત કરવા સક્ષમ છે. આ ભવ્ય ગોચર દેશ અને વિશ્વ તેમજ તમામ 12 રાશિઓ પર અસર કરશે. ચાલો આપણે વિગતવાર શોધી કાઢીએ કે આ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કોને સાવધ રહેવાની જરૂર છે.

ગુરુ 12 વર્ષ પછી કર્ક રાશિમાં પ્રવેશ કરે છે

વૈદિક જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, ધર્મ, ભાગ્ય, બાળકો, લગ્ન, શિક્ષણ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે ગુરુ તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું શુભ અનેકગણું વધી જાય છે. આ જ કારણ છે કે 2 જૂન, 2026 ના રોજ આ ગોચર જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

ગુરુ 31 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે લગભગ 12:50 વાગ્યા સુધી કર્ક રાશિમાં રહેશે અને પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન તે ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે અને ઘણા લોકોને નવી જવાબદારીઓ અને સન્માન મળી શકે છે.

આ રાશિના જાતકોને રાજયોગ જેવા લાભ મળી શકે છે!

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે, આ ગોચર સુખ-સુવિધાઓ અને સુખ-સુવિધાઓમાં વધારો લાવી શકે છે. કૌટુંબિક સુખમાં વધારો થશે અને ઘર, વાહન અથવા મિલકત સંબંધિત બાબતોમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર આર્થિક રીતે શુભ માનવામાં આવે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. લાંબા સમયથી અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. વ્યવસાયના વિસ્તરણની તકો મળશે અને રોકાણોથી નફો થવાની સંભાવના છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર તમારી પોતાની રાશિમાં થઈ રહ્યું છે, તેથી કર્ક રાશિના જાતકોને સૌથી વધુ સકારાત્મક અસરોનો અનુભવ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે, સામાજિક સન્માન પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. અપરિણીત વ્યક્તિઓના લગ્નની સંભાવનાઓ પણ હોઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આ ગોચર વૃશ્ચિક રાશિ માટે શુભફળ લાવનાર માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ, વિદેશ યાત્રા અને કારકિર્દીમાં ઉન્નતિની તકો શક્ય છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.

મીન રાશિ

મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ, મીન રાશિ માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને સર્જનાત્મક પ્રયાસોમાં સફળતા મળી શકે છે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામોની અપેક્ષા છે.

આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

ગુરુનું ગોચર સિંહ રાશિ માટે ખર્ચમાં વધારો કરી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ચિંતાનું કારણ બની શકે છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે, આ સમય સંબંધોમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. લગ્ન જીવનમાં ગેરસમજ ટાળવી જોઈએ. ભાગીદારી સાહસોમાં સાવધાનીપૂર્વક પગલાં લેવાનું શ્રેષ્ઠ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને કાર્યસ્થળ પર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. કામનું દબાણ વધી શકે છે. તેમના સ્વાસ્થ્ય અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો હાનિકારક હોઈ શકે છે.

ગુરુના ગોચર દરમિયાન શું કરવું?

જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુવારે પીળા કપડાં પહેરવા, પીળી વસ્તુઓનું દાન કરવું અને ભગવાન વિષ્ણુ અને ગુરુની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો

Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો! જુઓ Video

Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો! જુઓ Video

વડોદરાના લોકોને વધુ એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે. CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો અને SCM દીઢ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે. ઘરેલુ ગેસનાં 51.74થી વધારીને 53.74 રૂપિયા કરવામાં આવ્યા છે. CNGના દરમાં પણ 2 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 85.95 રૂપિયા સુધી પહોંચ્યો છે.

તમામ શ્રેણીઓમાં 2રૂપિયાનો એકસમાન વધારો

સુધારેલા દરો હેઠળ, CNGનો ભાવ પ્રતિ કિલો 83.95 રૂપિયાથી વધીને 85.95 રૂપિયા થશે. સ્થાનિક PNG ટેરિફ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ રૂ. 51.74 થી વધારીને રૂ. 53.74 કરવામાં આવ્યા છે. જ્યારે કોમર્શિયલ PNG ગ્રાહકોએ હવે પ્રતિ SCM રૂ. 71.50 ચૂકવવા પડશે જે અગાઉ રૂ. 69.50 પ્રતિ SCM હતું. આ સુધારો તમામ શ્રેણીઓમાં રૂ. 2 નો એકસમાન વધારો દર્શાવે છે.

આ પણ વાંચો, Ahmedabad Breaking News : અમદાવાદમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂઆત! જુઓ Video

Junagadh : અગરબત્તીના કેમિકલથી બનાવાતો હતો દેશી દારૂ, ઝેરી પ્રવાહી પીવાથી 4 લોકો બીમાર

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો અને લોકોના જીવ સાથે રમત રમતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ચલાવવા માટે માનવ જિંદગીને જોખમમાં મૂકીને અગરબત્તી બનાવવા માટે વપરાતા અત્યંત ઝેરી કેમિકલથી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ વડા રોહિત ડગરે સત્તાવાર નિવેદન આપીને સમગ્ર નેટવર્ક અંગે વિગતો જાહેર કરી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આ અતિ ગંભીર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલનો ઉપયોગ

ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નો ઉપયોગ કરીને આ નકલી દેશી દારૂ તૈયાર કરતો હતો.

4 લોકોને અસર થઇ

 આ ઝેરી કેમિકલ યુક્ત શંકાસ્પદ પીણું પીવાના કારણે હાલમાં 4 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ આ ચાર દર્દીઓ પૈકી બે લોકોની હાલત હજુ પણ અત્યંત નાજુક અને ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં લઠ્ઠાકાંડના કારણે મોત થયા હોવાની અફવાઓ ઉડી હતી. જો કે, ઇન્ચાર્જ એસપીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી અને મોતની તમામ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ અને અન્ય શંકાસ્પદ કેમિકલના સેમ્પલ મેળવીને તાત્કાલિક એફએસએલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે રમત રમનારા તમામ દોષિતો સામે કાયદાની સૌથી કડક કલમો હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો—–    Gujarat Latest News LIVE : પહેલા જ વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી, રામોલમાં રોડ બેસી ગયો

Sabarkantha : પ્રાંતિજ નગરપાલિકામાં નારાજ 15 કોર્પોરેટરોના રાજીનામા બાદ સંગઠન એક્શનમાં, ખાનગી હોટલમાં ડેમેજ કંટ્રોલ બેઠક

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો આંચકો આવ્યો છે. પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષના એક સાથે 15 જેટલા કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા ધરી દેતાં સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાજપ સંગઠન તાબડતોબ હરકતમાં આવ્યું

સ્થાનિક સ્તરે અંદરોઅંદર ચાલી રહેલો વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. નારાજ કોર્પોરેટરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો જિલ્લા પ્રમુખને પત્ર મોકલીને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે, જેને પગલે ભાજપ સંગઠન તાબડતોબ હરકતમાં આવ્યું છે.

પ્રમુખ અનિતાબેન પંડ્યા સામેની નારાજગી

સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આ આખા વિવાદના મૂળમાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા સામેની નારાજગી છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે વહીવટી કામોમાં પ્રમુખ અનિતા પંડ્યાના પતિ જીગ્નેશ પંડ્યા દ્વારા વ્યાપક દખલગીરી કરવામાં આવે છે અને સભ્યોની અવગણના થાય છે.

પ્રમુખને તાત્કાલિક બદલવા માગ

મુખ પતિના આ કથિત વહીવટ અને જોહુકમી સામે લાંબા સમયથી સળગી રહેલો રોષ આખરે સામૂહિક રાજીનામા સ્વરૂપે ફાટી નીકળ્યો છે. તમામ નારાજ સભ્યોનો એક જ સૂર છે કે નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક બદલવામાં આવે.

 ખાનગી હોટલમાં ગુપ્ત બેઠક બોલાવવામાં આવી

આ મોટો રાજકીય ભૂકંપ આવતા જ મામલો થાળે પાડવા માટે સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર આવેલી એક ખાનગી હોટલમાં ગુપ્ત બેઠક બોલાવવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રભારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

15 કોર્પોરેટરો સાથે વન-ટુ-વન રૂબરૂ મુલાકાત

 સંગઠનના હોદ્દેદારોએ તમામ 15 કોર્પોરેટરો સાથે વન-ટુ-વન રૂબરૂ મુલાકાત કરીને તેમના મંતવ્યો અને ફરિયાદો સાંભળી હતી. અંદરના સૂત્રોના જણાવ્યા મુજબ, હાઈકમાન્ડે કોર્પોરેટરોને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો કે, વિવાદ વધુ ન વકરે તે માટે સંગઠન દ્વારા તમામ કોર્પોરેટરોને હાલ મીડિયા સમક્ષ કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવાની કડક મૌખિક સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો—-     Gujarat Latest News LIVE : પહેલા જ વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી, રામોલમાં રોડ બેસી ગયો

Breaking News : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ફાટી નીકળશે? અમેરિકાએ ઈરાની બે ટાપુ પર કર્યો હુમલો

Breaking News : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ફાટી નીકળશે? અમેરિકાએ ઈરાની બે ટાપુ પર કર્યો હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ફરી એકવાર નવા સંઘર્ષની આશંકા વધી રહી છે. ખાસ કરીને, અમેરિકાએ બે ઈરાની ટાપુઓ ગોરુક અને કેશમ પર સ્થિત રડાર અને ડ્રોન નિયંત્રણ સ્થળો પર હુમલા શરૂ કર્યા, જેની પુષ્ટિ યુએસ સેન્ટકોમ દ્વારા જ કરવામાં આવી હતી. જવાબમાં, ઈરાને હવે બદલો લેવાનો હુમલો શરૂ કર્યો છે. ઈરાનની IRGC એરોસ્પેસ ફોર્સે તે જ યુએસ એરબેઝને નિશાન બનાવ્યું જ્યાંથી પ્રારંભિક હુમલો કરવામાં આવ્યો હતો, અને દાવો કર્યો હતો કે નિર્ધારિત લક્ષ્ય સફળતાપૂર્વક નાશ પામ્યું છે.

યુએસએ ઈરાનમાં ક્યાં હુમલા કર્યા?

સેન્ટકોમ દ્વારા સપ્તાહના અંતે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પર સ્થિત ડ્રોન રડાર અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સ્થળો સામે રક્ષણાત્મક હુમલાઓ કર્યા. X પર એક પોસ્ટમાં, સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ તે સપ્તાહના શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા યુએસ MQ-1 પ્રિડેટર ડ્રોનને તોડી પાડવાના બદલામાં કરવામાં આવ્યા હતા.

યુએસ સેન્ટકોમે શું અહેવાલ આપ્યો?

સેન્ટકોમે વધુ વિગતવાર જણાવ્યું કે યુએસ લડાકુ વિમાનોએ બદલો લેવા માટે હુમલા કર્યા, જેમાં ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલી, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે હુમલાના ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા; ખાસ કરીને, આ કામગીરી દરમિયાન કોઈ યુએસ લશ્કરી કર્મચારી ઘાયલ થયો ન હતો. ગયા અઠવાડિયે પણ બંને દેશો વચ્ચે હુમલાઓની આપ-લે થઈ હતી, જ્યારે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઇરાની ડ્રોન ઓપરેશનને લક્ષ્ય બનાવતા યુએસ લશ્કરી હુમલાઓ બાદ યુએસ એરબેઝને નિશાન બનાવ્યું હતું.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને ટાંકીને, ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, યુએસ હુમલાઓના પગલે, ઈરાની દળોએ દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં સિરિક ટાપુ પર સ્થિત એક એરબેઝને નિશાન બનાવ્યું હતું. જો કે, એજન્સીએ સ્પષ્ટ કર્યું નથી કે કયા ચોક્કસ યુએસ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

Breaking News : ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકનો છોડી રહ્યા છે પોતાનો જ દેશ ! આ દેશની અપનાવી રહ્યા છે નાગરિકતા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Tiffani Trump Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી પતિ સાથે જામનગર પહોંચ્યા, અંબાણી પરિવારના મહેમાન બની ‘વનતારા’ નિહાળશે

ગુજરાતના જામનગરમાં આજે એક હાઈપ્રોફાઈલ મહેમાનનું આગમન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી ટિફની ટ્રમ્પ પોતાના ભારતના ખાનગી પ્રવાસ અંતર્ગત આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પની સાથે તેમના પતિ માઈકલ બુલોસ અને કેટલાક નજીકના મિત્રો પણ આ પ્રવાસમાં જોડાયા છે. જામનગરમાં તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા છે, અને રિલાયન્સના પ્રખ્યાત એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે.


ચાર્ટર્ડ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ પર આગમન

ટિફની ટ્રમ્પ અને તેમનો સ્ટાફ ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે બપોરે અંદાજે 11:15 કલાકે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર તેમનું પરંપરાગત અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ એરપોર્ટથી સીધા વનતારા તરફ રવાના થયા હતા.


50થી વધુ કારનો કાફલો અને કડક સુરક્ષા

અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર એરપોર્ટ પર અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસને રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ સિક્યોરિટી અને અન્ય એજન્સીઓની 50થી વધુ મોંઘીદાટ કારનો મોટો કાફલો એરપોર્ટ પર તૈનાત હતો. આ હાઈ-સિક્યોરિટી કોન્વોય તેમને લઈને વનતારા જવા રવાના થયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.


ભારતના વિવિધ પ્રવાસી સ્થળોની લીધી મુલાકાત

ટિફની ટ્રમ્પ હાલ ભારતના ખાનગી પ્રવાસે છે. જામનગર પહોંચતા પહેલા તેઓ ભારતના અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં નવી દિલ્હીના ભવ્ય અક્ષરધામ મંદિર, આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને રાજસ્થાનના સોનેરી શહેર જૈસલમેરના પ્રખ્યાત ‘સોનાર કિલ્લા’નો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કલા નિહાળ્યા બાદ હવે તેઓ જામનગરમાં અંબાણી પરિવારના વનતારા પ્રોજેક્ટમાં વન્યજીવોના સંરક્ષણની કામગીરી નિહાળશે.


ટિફની ટ્રમ્પે શેર કર્યા ભારત પ્રવાસના ફોટોસ

ટિફની ટ્રમ્પે તાજમહેલની મુલાકાત કરી હતી. આ યાદગાર પળોની તસવીરો એક્સ પર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, તાજમહેલની એક અદ્ભુત મુલાકાત. એક અદ્દભૂત સ્વપ્ન સાકાર થયું.

આ પણ વાંચો – Jamnagar: મહિલા પોલીસ મથક પર પીપળાનું મોટું ઝાડ પડતા નુકસાન, બોલેરો દબાઈ ગઈ

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

ગરમી અને ઉકળાટથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં ચોમાસાએ વિધિવત દસ્તક આપી દીધી છે. કેરલમના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના સાથે જ દેશમાં વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરલમ સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળશે

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્ર ઉછાળાભર્યો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.

ચોમાસાના આગમન અંગેના આ છે માપદંડ

ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત માટે હવામાન વિભાગ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લે છે. તેમાં મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ માપદંડ મુજબ 10 મે પછી કેરલમ અને લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલા કુલ 14 હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60 ટકા મથકો પર જરૂરી માત્રામાં વરસાદ નોંધાવવો જરૂરી હોય છે.

બીજો માપદંડ એ છે કે આ વિસ્તારોમાં સતત બે દિવસ સુધી સરેરાશ 2.5 મિલીમીટર કે તેથી વધુ વરસાદ નોંધાવવો જોઈએ. ત્રીજો અને મહત્વપૂર્ણ માપદંડ પવનની સ્થિતિ સાથે જોડાયેલો છે. કેરલમના દરિયાકાંઠેથી લગભગ 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી પશ્ચિમી પવનો મજબૂત હોવા જોઈએ અને તેમની ઝડપ 28થી 37 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોવી જરૂરી છે.

ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ તમામ માપદંડો પૂર્ણ થતાં હવામાન વિભાગ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરે છે. કેરલમમાં ચોમાસાના પ્રવેશ બાદ સામાન્ય રીતે આગામી દિવસોમાં તે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં આગળ વધે છે. ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video

 

Surat: વહેલી સવારથી જ રિક્ષાના પૈડાં થંભી ગયા, ભાડામાં સીધો રૂ.5 નો વધારો આપવાની મ્યુનિસિપલ તંત્ર પાસે માગ

સુરતમાં સામાન્ય અને મધ્યમ વર્ગની જીવાદોરી સમાન રિક્ષા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આજે ખોરવાઈ ગઈ છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રિક્ષાચાલકો માટે રોજગારી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ આર્થિક બોજના વિરોધમાં આજે વહેલી સવારથી જ સુરતના ડિંડોલી વિસ્તારના રિક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળ પાડી દીધી છે. ડિંડોલી ચાર રસ્તા અને મુખ્ય માર્ગો પર રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાઓ સાઇડમાં ઉભી રાખીને અન્ય ચાલકોને પણ પેસેન્જર ન બેસાડવા અપીલ કરી હતી, જેના કારણે હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મુસાફરોની હાલત કફોડી, સીટી બસો હાઉસફુલ

સુરતમાં દૈનિક લાખો લોકો અવરજવર માટે ઓટો રિક્ષા પર નિર્ભર હોય છે, ત્યારે ડિંડોલીમાં સવાર-સવારમાં જ રિક્ષાઓ બંધ થઈ જતાં શાળાએ જતા બાળકો, રત્નકલાકારો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. હજારો લોકો રસ્તા પર વાહનની રાહ જોતા ઉભેલા નજરે પડ્યા હતા અને અંતે ઘણા લોકોએ ચાલતા જવાની ફરજ પડી હતી.

5 ભાડા વધારાની જીદ

બીજી તરફ, રિક્ષાઓ બંધ હોવાના કારણે સુરત મહાનગરપાલિકાની સીટી બસો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બસો ઓવરલોડ થઈ જતાં લોકો ફૂટબોર્ડ પર અને દરવાજા બહાર જીવન જોખમે લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો: Dahod: સુખસરમાં વિદેશી દારૂ ભરેલી તૂફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર