IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નાની ભૂલ કેવી રીતે મોટી સાબિત થઈ શકે છે તેનો જીવંત ઉદાહરણ જોવા મળ્યો. લખનૌના કેપ્ટન ઋષભ પંતનો એક નિર્ણય આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો, જેના કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું.

મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જ્યાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો અને પ્રથમ ઓવરમાં પ્રભસિમરન સિંહ આઉટ થયો. આવી સ્થિતિમાં લખનૌ માટે મેચ પર કાબૂ મેળવવાની સારી તક હતી.

બીજી ઓવરમાં કૂપર કોનોલી ક્રીઝ પર આવ્યો ત્યારે મોહસીન ખાનની બોલિંગ દરમિયાન LBW માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે નોટ આઉટ આપ્યો, અને અહીંથી આખી કહાની બદલાઈ ગઈ. લખનૌ પાસે DRS લેવાની તક હતી, પરંતુ કેપ્ટન ઋષભ પંતે રિવ્યૂ ન લેવાનો નિર્ણય કર્યો. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ થયું કે જો રિવ્યૂ લેવામાં આવ્યો હોત, તો કોનોલી આઉટ થઈ ગયો હોત. તે સમયે તે માત્ર 4 રન પર હતો.

આ એક નિર્ણય પંજાબ માટે જીવનરેખા બની ગયો. શરૂઆતમાં થોડી મુશ્કેલી અનુભવનાર કૂપર કોનોલી પછી સંપૂર્ણ રીતે લયમાં આવી ગયો અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ આક્રમક બેટિંગ ચાલુ રાખી.

કોનોલીએ મેચ દરમિયાન અનેક શાનદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને એડન માર્કરામની એક ઓવરમાં તેણે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા, જ્યારે પ્રિયાંશ આર્યએ પણ બે છગ્ગા ઉમેર્યા. આ ઓવરમાં કુલ 32 રન બન્યા, જે મેચનો મહત્વપૂર્ણ ક્ષણ બની રહ્યો.

જોકે કોનોલી પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં, તેણે માત્ર 46 બોલમાં 87 રનની જબરદસ્ત ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે, એટલે કે કુલ 15 બાઉન્ડરીથી તેણે સ્કોર બોર્ડને તેજ ગતિથી આગળ ધપાવ્યો.

આ રીતે ઋષભ પંતનો DRS ન લેવાનો નિર્ણય લખનૌ માટે ભારે પડી ગયો. એક સરળ રિવ્યૂથી મળતું વિકેટ ચૂકી જવાથી ટીમને અંતે 83 રનનો મોટો ખર્ચ સહન કરવો પડ્યો, જે મેચના પરિણામ પર સીધી અસર કરતો સાબિત થયો.

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

Ahmedabadમાં નશાખોરની દાદાગીરી: હાથમાં છરી લઈ પોલીસને લલકારી, વીડિયોએ મચાવ્યો ખળભળાટ

અમદાવાદના વાડજ વિસ્તારમાં એક યુવક નશાની હાલતમાં છરી લઈને જાહેર રોડ પર આતંક મચાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સ હાથમાં ખુલ્લી છરી રાખીને રસ્તા પરથી પસાર થતા લોકોને ડરાવી રહ્યો હતો અને અત્યંત બીભત્સ ગાળો બોલી રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વીડિયોમાં દેખાતો શખ્સ નશામાં એટલો ચકચૂર હતો કે તેણે પોલીસ પ્રશાસન વિશે પણ અપશબ્દો બોલતા અચકાયો નહોતો.

જાહેર રોડ પર છરી વડે લોકોને ડરાવ્યા

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં ઘાતક હથિયાર સાથે રસ્તાની વચ્ચે ઊભો છે અને જાહેરમાં લોકોને ધમકાવી રહ્યો છે. રસ્તા પર આ પ્રકારે નશાખોર શખ્સે આતંક મચાવતા વાહનચાલકોએ પણ પોતાના વાહનો થંભાવી દીધા હતા. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. પોલીસ વિશેના બીભત્સ ઉચ્ચારણોને કારણે પોલીસ તંત્રની આબરૂ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ 

આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ વાડજ પોલીસ એક્શનમાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વીડિયો વાડજ વિસ્તારનો જ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આ શખ્સની ઓળખ મેળવવા માટે તપાસ તેજ કરી છે. જાહેરમાં હથિયાર પ્રદર્શન અને નશો કરીને પોલીસ વિરુદ્ધ બોલનારા આ શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી સમાજમાં ખોટો દાખલો બેસે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Chhota Udepur: નસવાડીના ચામેઠા ગામે આકાશી વીજળી ત્રાટકી, ખેતરમાં કામ કરતા યુવકનું કરૂણ મોત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટના બની છે. તાલુકાના ચામેઠા ગામે ખેતરમાં મજૂરી કામ કરી રહેલા એક આશાસ્પદ યુવક પર આકાશી વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભર ઉનાળે આવેલા વાતાવરણના પલટાએ આ પરિવાર પર આભ તોડી પાડ્યું છે.

ખેતરમાં કામ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના

નસવાડી પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ દરમિયાન ચામેઠા ગામનો યુવક પોતાના ખેતરમાં ખેતીકામમાં વ્યસ્ત હતો. અચાનક ગાજવીજ સાથે પડેલી વીજળી સીધી યુવક પર પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો અને જોતજોતામાં તેણે દમ તોડી દીધો હતો.

સ્થાનિકોમાં શોકની લાગણી 

આ ઘટનાને પગલે આખું ગામ ખેતરે દોડી આવ્યું હતું અને યુવકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસ અને મહેસૂલ વિભાગને જાણ કરવામાં આવી છે. અચાનક આવેલા માવઠાએ ખેતીના પાકને નુકસાન તો પહોંચાડ્યું જ છે, પરંતુ આ માનવીય જાનહાનિને કારણે સમગ્ર નસવાડી પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Local Body Elections 2026 : ચૂંટણીમાં બળવો કરનારા નેતાઓ સામે અમદાવાદ ભાજપનો સપાટો, 7 હોદ્દેદારોને રવાના કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના પ્રચાર વચ્ચે અમદાવાદ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 7 જેટલા હોદ્દેદારો સામે ભાજપે લાલ આંખ કરી છે. શિસ્તના આગ્રહી એવા ભાજપે આ તમામ સભ્યોને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (બરતરફ) કરી દીધા છે.

વિરમગામ, બારેજા અને સાણંદમાં કાર્યવાહી

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં વિરમગામ શહેરના 4, બારેજાના 2 અને સાણંદના 1 હોદ્દેદારનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ કાં તો પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અથવા તો પોતાના પરિવારના સભ્યોને ભાજપના ઉમેદવાર સામે મેદાનમાં ઉતાર્યા હતા. પક્ષની શિસ્તનો ભંગ કરવા બદલ તેમને તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડવી એ ગંભીર શિસ્તભંગ છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારની કડક કાર્યવાહી કરીને ભાજપે અન્ય કાર્યકરો અને નેતાઓને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પક્ષ વિરોધી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. આ આકરા નિર્ણયને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો—     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Ahmedabad : ધંધુકામાં યુવકની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ ન્યાય અપાવે તેવી સ્વજનોની માગ

ધંધુકામાં એક યુવકની ઘાતકી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આજે મૃતક ધર્મેશ ગમારાના મૃતદેહનું ધંધુકા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું. આ તબક્કે હોસ્પિટલ પરિસરમાં સમાજના આગેવાનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સ્વજનોમાં ભારે રોષ અને ન્યાયની માગ

મૃતક ધર્મેશ ઉર્ફે લાલા ગમારાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, મૃતક ધર્મેશના બે ભાઈઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં પરિવારના સભ્યની આ પ્રકારે હત્યા થતા સ્વજનોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. હોસ્પિટલ ખાતે હાજર સ્વજનોએ પોલીસ અધિકારીઓ પાસે આ કેસમાં જવાબદાર આરોપીઓને સત્વરે ઝડપી પાડી કડક સજા અપાવવાની અને ન્યાય કરવાની માંગ કરી છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ

પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતક ધર્મેશ ગમારાનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે, જેની હવે અંતિમવિધિ કરવામાં આવશે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી રહી છે અને ટૂંક સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

તાત્કાલિક પૈસાની જરૂર પડે તો 2 મિનિટમાં આવી રીતે લઈ શકાય છે લોન, જાણી લો

તાત્કાલિક પૈસાની જરૂર પડે તો 2 મિનિટમાં આવી રીતે લઈ શકાય છે લોન, જાણી લો

જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં તાત્કાલિક નાણાંની જરૂર પડે છે. તે તબીબી ઈમરજન્સી હોય, ઘરના સમારકામનો ખર્ચ હોય કે અન્ય કોઈ અચાનક જરૂરિયાત, દરેક સમયે મિત્રો અથવા સગા-સંબંધીઓ પાસેથી સહાય મેળવવી સરળ નથી. આવી સ્થિતિમાં બેંકો અને NBFC દ્વારા આપવામાં આવતી ત્વરિત લોન એક સારો વિકલ્પ બની શકે છે.

ઇમરજન્સી પર્સનલ લોન શું છે?

ઇમરજન્સી પર્સનલ લોન એવી સુવિધા છે જેમાં તમે લાંબી કાગળકામ પ્રક્રિયા વિના જ ઝડપથી લોન મેળવી શકો છો. આખી પ્રક્રિયા ઑનલાઇન પૂર્ણ થાય છે અને ઘણા કિસ્સાઓમાં, તમારી અરજી મંજૂર થયા બાદ થોડા જ મિનિટોમાં પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.

₹2 લાખ સુધીની લોન કેવી રીતે મેળવી શકાય?

સૌ પ્રથમ, તમારી લોન માટેની યોગ્યતા તપાસો. સામાન્ય રીતે, અરજીકર્તાની ઉંમર 21 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની પાસે નિયમિત આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોય, તો લોન મંજૂર થવાની શક્યતા વધુ વધી જાય છે.

ત્યારબાદ, તમે ઑનલાઇન અરજી કરી શકો છો. તેમાં તમારું નામ, મોબાઈલ નંબર, આવક અને નોકરી/વ્યવસાય સંબંધિત માહિતી ભરવી પડે છે. KYC પ્રક્રિયા માટે આધાર કાર્ડ, PAN કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. છેલ્લે, તમે તમારી સુવિધા મુજબ EMI પ્લાન અને લોનની મુદત પસંદ કરી શકો છો.

ઝડપથી ભંડોળ મેળવવાની સુવિધા

અરજી સબમિટ કર્યા પછી, લોન પ્રક્રિયા તરત જ શરૂ થાય છે. ઘણા કિસ્સાઓમાં, થોડા જ મિનિટોમાં મંજૂરી મળી જાય છે અને રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. આ કારણે જ તેને “ત્વરિત લોન” કહેવામાં આવે છે.

આ લોન ક્યાં ઉપયોગી છે?

ત્વરિત પર્સનલ લોનનો ઉપયોગ વિવિધ જરૂરિયાતો માટે કરી શકાય છે, જેમ કે હોસ્પિટલના બિલ, ઘરના સમારકામ, હાલની લોન ચૂકવવા, લગ્ન અથવા અન્ય મોટા પ્રસંગો માટે, તેમજ પ્રવાસ અથવા મોટી ખરીદી માટે.

ઑનલાઇન લોનના ફાયદા

પ્રકારની લોનનો સૌથી મોટો ફાયદો તેની ઝડપ અને સરળતા છે. તમને બેંકમાં વારંવાર જવાનું રહેતું નથી — આખી પ્રક્રિયા તમે ઘરે બેઠા પૂર્ણ કરી શકો છો. ઉપરાંત, મોટાભાગની નાણાકીય સંસ્થાઓ પારદર્શક નિયમો અને શરતો સાથે લોન આપે છે.

જરૂરી દસ્તાવેજો

પગારદાર વ્યક્તિઓ માટે PAN કાર્ડ, આધાર કાર્ડ, સેલેરી સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ જરૂરી હોય છે. જ્યારે સ્વ-રોજગાર વ્યક્તિઓએ ITR (આવકવેરા રિટર્ન), બેંક સ્ટેટમેન્ટ અને વ્યવસાયના પુરાવા રજૂ કરવા પડે છે.

લોન લેતા પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દા

લોન લેતા પહેલાં વ્યાજ દર, EMI અને અન્ય નિયમો અને શરતોને સારી રીતે સમજવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય માહિતી અને સમજ સાથે લેવામાં આવેલી લોન મુશ્કેલ સમયમાં સાચી મદદરૂપ બની શકે છે.

Valsad : ST બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરાફેરી, પારડી પોલીસે 4 મહિલા સહિત 6 બુટલેગરોને દબોચ્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને નેવે મૂકીને સંઘ પ્રદેશમાંથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક સચોટ બાતમીના આધારે એસ.ટી. બસમાં મુસાફરોના વેશમાં દારૂની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 4 મહિલાઓ સહિત કુલ 6 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થેલાઓમાં છુપાવ્યો હતો દારૂ

બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે સેલવાસથી સુરત જતી એસ.ટી. બસનો સહારો લીધો હતો. તેઓ સામાન્ય મુસાફર બનીને બસમાં બેઠા હતા, પરંતુ તેમની પાસે રહેલા થેલાઓમાં કપડાં કે અન્ય સામાનને બદલે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે બસને અટકાવી તલાશી લેતા થેલાઓમાંથી ₹4.10 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

બુટલેગરોના બદલાતા નુસખા

પારડી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી તમામ 6 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યમાં પોલીસની કડક નજરને કારણે હવે બુટલેગરો લક્ઝરી ગાડીઓને બદલે જાહેર પરિવહનની બસોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોનો આ નુસખો નિષ્ફળ સાબિત થયો છે. હાલ પોલીસ આ દારૂનો જથ્થો કોણે આપ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો—-    Gandhinagarમાં ACBનો મસમોટો સપાટો: પ્રોપર્ટી કાર્ડ માટે રૂ.9.50 લાખની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા

Breaking News : એક નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવમાં 10% સુધીનો ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા!

Breaking News : એક નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવમાં 10% સુધીનો ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા!

હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતા ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં લગભગ 10% સુધીનો ઘટાડો થયો છે, જે ભારત જેવા આયાત પર આધારિત દેશો માટે રાહતજનક સમાચાર છે. આ ઘટાડાથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પરનું દબાણ ઓછું થઈ શકે છે, જેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળી શકે છે.

શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો આ ઘટાડો મુખ્યત્વે મધ્ય પૂર્વમાં તણાવ ઘટતા અને હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થવાના અહેવાલો બાદ આવ્યો છે. અગાઉ બજારમાં એવી આશંકા વ્યક્ત થઈ રહી હતી કે ઈરાન સંબંધિત તણાવને કારણે આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ થઈ શકે છે. નોંધનીય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20 ટકા ભાગ આ સ્ટ્રેટ મારફતે પસાર થાય છે, તેથી તેમાં કોઈ વિક્ષેપ વૈશ્વિક સપ્લાય પર મોટી અસર કરી શકે.

હાલમાં મળેલા સંકેતો અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો છે અને શિપિંગ ટ્રાફિક સામાન્ય રીતે ચાલુ છે. આથી સપ્લાયમાં અવરોધની શક્યતા ઘટી છે અને બજારમાં રહેલી અનિશ્ચિતતા પણ ઓછી થઈ છે. તેના પરિણામે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ 90 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે, જ્યારે WTI ક્રૂડ 83 થી 86 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તાજેતરમાં થયેલી તેજી બાદ રોકાણકારો નફા બુકિંગ તરફ વળ્યા છે, જેના કારણે ભાવમાં વધુ ઝડપથી ઘટાડો નોંધાયો છે. સાથે જ, સંભવિત યુદ્ધવિરામ અને રાજદ્વારી વાટાઘાટોના સંકેતોએ પણ બજારના સેન્ટિમેન્ટને સકારાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારત જેવા દેશો માટે કાચા તેલના ભાવમાં ઘટાડો એક સકારાત્મક સંકેત છે. તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને પ્રોત્સાહન આપી શકે છે, જેના કારણે પરિવહન ખર્ચ ઓછો થશે અને મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ, શેરબજારમાં પણ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

બજાર વિશ્લેષકોના મત મુજબ, હવે ક્રૂડ ઓઇલના ભાવનો આગળનો ટ્રેન્ડ મોટા પ્રમાણમાં ભૂ-રાજકીય પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘટશે, તો કિંમતોમાં વધુ ઘટાડો શક્ય છે. જોકે, કોઈપણ નવી તંગદિલી ફરીથી બજારમાં તેજી લાવી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમવારે ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી શકે છે. ખાસ કરીને પેઇન્ટ અને ટાયર ઉત્પાદક કંપનીઓના શેરમાં વધારો થવાની સંભાવના છે, કારણ કે કાચા તેલના ઘટતા ભાવ તેમના ઉત્પાદન ખર્ચને ઓછો કરે છે. સાથે જ, તેલ કંપનીઓના શેર પર પણ તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે.

રેમ્પથી રણભૂમિ સુધી..મિસ ઇન્ડિયા Kashish Methwani બની સેનામાં લેફ્ટનન્

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

IPL ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ₹25.2 કરોડમાં જોડાયેલા ગ્રીનની શરૂઆત ખરાબ રહી, દરેક મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. જોકે, છઠ્ઠી મેચમાં તેનું બેટ ચાલ્યું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી, અને એક સિક્સર ફટકારી જે સ્ટેડિયમમાં પાર્ક કરેલી કારને વાગ્યો.

કેમેરોન ગ્રીને બતાવ્યું ફોર્મ

કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPL 2026 ની પહેલી પાંચ ઈનિંગ્સમાં નિષ્ફળ ગયો હતો, તેના પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. નિષ્ણાતોથી લઈને ચાહકો સુધી, બધાએ તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ટીમની સતત નિષ્ફળતાઓને કારણે ગ્રીન પણ ખાસ નિશાના પર હતો. જોકે, ગુજરાત ટાઈટન્સ સામે ગ્રીને શાનદાર બેટિંગ કરી સંકટ સમયે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી.

ગ્રીનનો સિક્સરથી કાર લક્ષ્ય બની ગઈ

ગ્રીને શરૂઆત ધીમી કરી હતી, પરંતુ એકવાર તેણે બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું, તો તેણે ગુજરાતના દરેક બોલરને નિશાન બનાવ્યા. પરંતુ તેનો સૌથી ફેમસ શોટ સીધો કાર પર પડ્યો હતો. આ 13મી ઓવરમાં બન્યું, જ્યારે ગ્રીને અશોક શર્માની ઈનિંગનો ત્રીજો બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર કરીને સીધો પોડિયમ પર પાર્ક કરેલી સ્પોન્સર કાર પર પડ્યો.

 

કંપની આ કામ પર પૈસા ખર્ચ કરશે

બોલ કારના સાઈડ મિરરની નીચે પડ્યો, જેનાથી મોટું નુકસાન થતા રહી ગયું. જોકે, તેનાથી એક ખાડો પડી ગયો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ખાસ વાત એ છે કે ગ્રીનના આ શોટને કારણે ઘણા એવા બાળકોને ફાયદો થયો, જેઓ ક્રિકેટ રમવા માંગે છે પણ તેમને ક્રિકેટ કીટ અને કોચિંગ પોસાતું નથી. સ્પોન્સર ટાટા મોટર્સે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેના હેઠળ જો બોલ કાર સાથે અથડાશે તો કંપની આવા બાળકો માટે ક્રિકેટ કિટ ખરીદવા માટે 5 લાખ રૂપિયાનું દાન કરશે.

કેમેરોન ગ્રીનની 79 રનની દમદાર ઈનિંગ

ગ્રીનની બેટિંગની વાત કરીએ તો, આ ઈનિંગ તેના માટે સારી સાબિત થઈ. એક સમયે, તે 28 બોલમાં ફક્ત 27 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઝડપથી ગિયર બદલ્યા. ગ્રીને 34 બોલમાં સિઝનની પોતાની પહેલી અડધી સદી પૂરી કરી અને ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થતાં પહેલાં 55 બોલમાં 79 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઈનિંગને કારણે કોલકાતા 180 રન સુધી પહોંચી શક્યું.

Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ

Palitana : શેત્રુંજય પર્વત પર લૂંટારાઓનો આતંક, બે દિવસમાં બે યાત્રિકો લૂંટાયા, અખાત્રીજ પૂર્વે જૈન સમાજમાં ભયનો માહોલ

ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત પવિત્ર શેત્રુંજય ગિરિરાજ પર યાત્રિકોની સુરક્ષા રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ગિરિરાજ પર સતત બીજા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર જૈન સમાજ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અજાણ્યા શખ્સો દ્વારા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને નિશાન બનાવી સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી રહી છે.

 લૂંટની ઘટનાઓ

ગઈકાલે પર્વત પર યાત્રા કરી રહેલા એક મહિલા પ્રવાસીને અટકાવી અજાણ્યા શખ્સો તેમની પાસેથી સોનાનો ચેઈન લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એક યાત્રિકને છરી બતાવી મોતના ડર નીચે સોનાના ચેઈનની લૂંટ ચલાવવામાં આવી છે. ધોળા દિવસે પવિત્ર યાત્રાધામમાં હથિયાર બતાવી થતી લૂંટને કારણે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે.

અખાત્રીજ પૂર્વે સુરક્ષા વધારવા માંગ

આગામી બે દિવસ બાદ અખાત્રીજનો પવિત્ર પર્વ છે, જેમાં હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો ઉમટી પડશે. ત્યારે આ પ્રકારની ઘટનાઓથી યાત્રિકોમાં ડર વ્યાપી ગયો છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સ્થાનિક લોકો અને યાત્રિકો દ્વારા અહીં કાયમી પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી ફાળવવાની પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચો—  Local Body Elections 2026 : સુરત કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આરોપ, મને ફોર્મ પરત લેવા માટે 75 લાખની ઓફર કરાઇ હતી, રાજકારણમાં ગરમાવો