Kheda: હેલ્મેટ નહીં પહેરનારા 250 ટુ-વ્હીલર ચાલકો દંડાયા

ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં વધતા જતા જીવલેણ અકસ્માતોના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસે ડ્રાઈવના પ્રથમ દિવસે જ કડકાઈ દાખવી 22 સરકારી અને 228 અન્ય નાગરિકો મળીને કુલ 250 લોકોને હેલ્મેટ નહીં પહેરવા બદલ 500-500 રુ. દંડ ફટકારતા હેલ્મેટના નિયમોનું પાલન નહીં કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સુચના અનુસાર સમગ્ર રાજ્યમાં તા.1લી મે થી તા.30 મે 2026 સુધી હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે ખેડા જિલ્લામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવની શરુઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકોને ફુલ આપીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા છતાં કેટલાક લોકોને પોતાના જીવની પરવા ન હોય હવે પોલીસે ડ્રાઈવના પ્રથમ દિવસે જ આક્રમક રીતે ખેડા જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓ બહાર ઉપરાંત જિલ્લામાં આવેલ જુદા જુદા સ્થળો પર ખાસ પોઈન્ટ ગોઠવી દીધા હતા. અને જે પણ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય તે સરકારી કર્મચારી હોય કે સામાન્ય જન તેમને દંડ ફટકારવામાં આવ્યા હતા. પોલીસની આ ડ્રાઈવમાં પ્રથમ દિવસે જ પોલીસ સહિતના સરકારી 22 કર્મચારીઓને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. ઉપરાંત અન્ય 228 નાગરિકોને પણ હેલ્મેટના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ખેડા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કિંજલ આર.ચૌધરીએ જણાવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત દ્વિચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Surendranagar: લીંબડી અને લખતર તાલુકાના ત્રણ ખેડૂતોને ચેક રીટર્ન કેસમાં કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

રતનપરની ખેતી બેંકમાંથી ધીરાણ મેળવેલ લીંબડી અને લખતર તાલુકાના 3 ખેડુતોએ આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયા હતા. જેમાં ત્રણેય આરોપીઓને દોષીત ઠેરવી કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. રતનપરની ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ. એગ્રી એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક દ્વારા ખેડુતોને ખેતીની જમીન પર ધીરાણ આપવામાં આવે છે. જેમાં લીંબડી તાલુકાના શીયાણીના ધુડા રામજીભાઈ વસોયાએ તા. 25-10-2019ના રોજ 5 વર્ષ માટે 1 લાખનું ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 16-9-25ના રોજ રૂપીયા 80,902નો આપેલો ચેક એકાઉન્ટ ઈન ઓપરેટીવના શેરા સાથે પરત ફર્યો હતો. જયારે લીંબડી તાલુકાના ભગવાનપરના ભુપત લક્ષ્મણભાઈ ગંગાણીએ તા. 23-2-23ના રોજ રૂપીયા1.50 લાખનું 3 વર્ષની અવધી માટે ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 16-9-25ના રોજ આપેલો રૂપીયા 20,513નો ચેક અપુરતા ભંડોળને લીધે પરત ફર્યો હતો. આ ઉપરાંત લખતર તાલુકાના મોઢવાણાના માનસંગ જેસીંગભાઈ ખાખરીયાએ તા. 14-11-24ના રોજ 3 વર્ષ માટે 1.50 લાખનું ધીરાણ લીધુ હતુ. જેમાં તા. 17-9-25ના રોજ આપેલો રૂપીયા 21,409નો ચેક અપુરતા ભંડોળને લીધે પરત ફર્યો હતો. આથી બેંકના લીગલ ઓફીસર ડી.પી.રાણા અને બેંકના કર્મી રાજવીરસિંહ જયદેવસિંહ ઝાલા મારફત સુરેન્દ્રનગરની એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં આ ત્રણેય કેસ દાખલ કરાયા હતા. આ તમામ કેસ ચાલી જતા બેંકના વકીલ એન.એ.વ્યાસની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે જજ પી.એમ.ઝાલાએ આરોપી ધુડા રામજીભાઈ વસોયા, ભુપત લક્ષ્મણભાઈ ગાંગાણી અને માનસંગ જેસીંગભાઈ ખાખરીયાને 1 વર્ષની સજા ફટકારી છે. જયારે ચેકની રકમ બેંકને ચુકવવા પણ હુકમ કર્યો છે. ત્રણેય આરોપીઓની ગેરહાજરીમાં કોર્ટે જજમેન્ટ આપીને તેઓના પકડ વોરંટ પણ ઈસ્યુ કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Surendranagar: દસાડાના બજાણામાં નજીવી વાતમાં લોખંડના પાઈપથી માર માર્યો

દસાડા તાલુકાના બજાણા ગામે આવેલ ઓડવાસમાં રહેતા 40 વર્ષીય લીલુભાઈ ઉર્ફે દીલીપભાઈ ગોરધનભાઈ બેલદાર ડ્રાઈવીંગ કરે છે. તેઓ એકલા હોઈ ગામના ઈબ્રાહીમભાઈ કાળુભાઈ કુરેશીના ઘરે રહે છે. આ વાત ઈબ્રાહીમભાઈના જમાઈ માલવણના મહમદભાઈ ઉર્ફે શેતાનને પસંદ ન હોઈ અગાઉ લીલુભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ વાતનું મનદુઃખ રાખી તા. 26-4ના રોજ રાતના સમયે આવી અપશબ્દો કહી લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેમાં લીલુભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો